આજકાલ જ્યા જુવો ત્યાં ઈન્સ્યોરન્સના કે બેન્કના એક પ્લાનનો બહુ જ પ્રચાર કરવામાં આવે છે અને એ છે નિવૃતિ પ્લાન. સાંભળવામાં સરળ લાગતી આ નિવૃતિની વાત એટલી પણ સરળ નથી જ્યારે આપણે સાચે જ એના દ્વારે ઉભા હોઇએ ત્યારે પરિસ્થિતિ કંઇક અલગ જ હોય છે.
નિવૃતિ એટલે શું?
સામાન્ય રીતે જ્યારે કોઇ માણસ પોતાના વ્યસાયથી વય મર્યાદાને કે કોઇ બીજા કારણોસર છુટા થાય એટલે આપણે એને રિટાયઁડ થયા કે નિવૃત થયા એમ માનીએ છીએ. જ્યારે વ્યવસાયમાંથી છુટા થઇએ ત્યારે સ્વભાવિક રીતે એની સાથે જોડાયેલા લાભો જેને આપણે પૈસા કહીએ છીએ એ પણ બંધ થાય છે. પૈસા એ જીવન નિર્વાહ કરવા માટેની સૌથી પેહલી જરુરિયાતોમાંની એક છે અને એટલે જ બધી જ બેન્કો અને ઇન્સ્યોરન્સ કંપની રિટાયડઁઁમેન્ટ પ્લાન માટે કહે છે. આમ કરવાથી પાછળની જીદંગી માટે પૈસાનો પ્રશ્ન રેહતો નથી. પણ આ બધામાં બહુ જ મહત્વનો મુદ્દો રહી જાય છે કે આ પૈસા હવે ક્યા અને કેવી રીતે જશે એ કોઇ નથી શીખવાડતું.
હંમેશાથી આપણને શીખવાડવામાં આવે છે કે આવક અને જાવક બન્નેનો હિસાબ અને પ્લાન પાક્કા હોવા જોઇએ તો આ જ વસ્તુ નિવૃતિ માટે કેમ નહી? આપણે એ કેવી રીતે આવશે એ વિચારવામાં ક્યાં જવા જોઇએ એ વિચારવાનું ભુલી જઇએ છીએ. ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે ૬૦ એ બુદ્ધિ નાઠે, આ કહેવત આ બહુ સાચી છે. વ્યાવસાયિક નિવૃતિથી કંટાળેલી ઉંમર એટલે ૬૦ અને એ જ સમય ક જ્યાં કંઇ કેટલાય પ્રશ્નોના જવાબ ન મળે એટલે બુદ્ધિ નાઠે.જ્યારે આપણે તેની નજીક હોઇએ ને ત્યારે તો એમ લાગે કે, હાશ! હવે વેકેશન મળશે, બહુ કર્યુ કામ, હવે થોડો આરામ કરવાનો સમય આવ્યો. પણ થોડાં જ સમય પછી આરામવાળા આપણાં જ શબ્દો નથી ગમતાં અને એ બદલાઇને એમ થઇ જાય છે કે આરામ કરીને કંટાળ્યા હવે તો. જ્યારે કોઇ વસ્તુ આપણા રોજીંદા જીવનનો જ્યારે ભાગ હોય ત્યારે એને અચાનકથી નથી નીકાળી શકતા જેમ કે આપણાં કાર્યસ્થળ ની કાર્યશૈલીની ઘટમાળ, પણ જો આમા પણ થોડું કાળજીપૂર્વક કરીએ તો કદાચ કરી શકીશું. જ્યારે આ વિચાર લોકોને કહીએ ને તો એમ કહે પેહલાં કે, કામ કરવાની આદત પડી છે ને એ ના જાય. તો આના જવાબમાં હું એમ કહીશ કે કામ તો ચાલુ જ રાખો પણ હવે પોતાના પર અને પોતાના માટે. પોતાના પર કામ કરવાથી કદાચ "૬૦ એ નાઠે" એ નહી નડે અને પોતાના માટે કામ કરવાથી સ્વાનંદની લાગણી મળશે.
પોતાના પર અને પોતાના માટે કામ કરવું એટલે શું?
આ સમયમાં એવું પણ કહેવામાં આવે છે કે ભગવાનની ભક્તિ કરો, પણ આપણે એમ કહીએ છીએ કે હજી તો મોટી ઉંમરમાં કરીશું. પણ હકીકતમાં આ જ એ સમય છે જ્યાં ભક્તિ કરવાની વધારે જરુર છે કે જે મનને શાંત રાખવામાં મદદ કરે આ નવી શરુઆતમાં. નિવૃતિ પછી નવરું બેસી રેહવું ના ગમે ને અંતે એનું પરિણામ મોટા ભાગે માનસિક તણાવ અને સ્વભાવમાં ચીડચીડપણા જેવામાં આવે છે અને એટલે જ કેહવામાં આવ્યું છે કે ૬૦ એ નાઠી. આ નાજુક સમયને જો પોતાને ગમતી વસ્તુ કરીને કે ભક્તિ કરીને કાઢવામાં આવે તો એ મનને ઉગ્ર બનતું અટકાવે છે અને મન નાઠવાને બદલે એક નવી જ દિશામાં કામ કરવા લાગે છે.
તો હવે પૈસાની સાથે સાથે પોતાના નિવૃતિના પ્લાનમાં થોડા બીજા વિચારો જેમ કે આ સમયને મન ભરીને કેવી રીતે જીવવું એના આઇડીયામાં પણ ઇન્વેસ્ટ કરતા જઇએ. જો આપણે આ ખરેખર કરી શકીશું તો આપણને નિવૃતિનો ડર નહી રહે પણ એક નવી શરુઆતનો આનંદ હશે. અને ફક્ત પોતાની સાથે અને પોતાના માટે જ જીવવાનો એ અદભુત આનંદ કોને નથી જોઇતો હોતો? તો તક કેમ ગુમાવવા દેવાની આવી, આજથી જ પ્લાન કરો કે મારી જીંદગીની એ નવી શરુઆત હું મારી સાથે કેવી રીતે કરીશ.